હું શોધું છું

હોમ  |

આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
Rating :  Star Star Star Star Star   

 વારંવાર ઉદ્દભવતા સવાલોની માહિતી (Frequently Asked Questions )

પ્રશ્ન

જી.આર.પી.એટલે શું ?

જવાબ

ગવર્નમેન્‍ટ રેલવે પોલીસ.

પ્રશ્ન

જી.આર.પી. શી કામગીરી કરે છે ?

જવાબ

જી.આર.પી.ની મુખ્યત્વે નીચે મુજબની કામગીરી છે.

  1. રેલવે ટ્રેનો અને રેલવે હદમાં બનતા ગુનાઓની નોંધણી તથા તપાસ કરવાની.

  2. રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના જાનમાલની તથા સરસામાનની રક્ષણ કરવાની.

  3. રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા વી.આઇ.પી. તથા વી.વી.આઇ.પી.શ્રીઓની સલામતી અંગે બંદોબસ્ત જાળવવાની.

  4. રેલવે વિસ્તારમાં થતાં આંદોલનો, સત્યાગ્રહો, મેળા, ઉત્સવો તથા ચૂંટણી અંગેનો જરૂરી બંદોબસ્ત જાળવવાની.

  5. રેલવે હદમાં ગુનાઓ ન બને તે માટે ટ્રેનોમાં પેટ્રોલિંગ તથા પ્લેટફોર્મ પેટ્રોલિંગ તથા રેલવે યાર્ડ, કોલોની વિસ્તારમાં નાઇટ રાઉન્ડ કરવાની અને બનેલા ગુનાઓ શોધવાની કામગીરી કરવાની.

  6. રેલવે ટ્રેનમાંથી કોઈ ઇસમો પડી જાય કે ઈજા થાય તો તેને તાત્‍કાલિક દવાખાને સારવાર માટે પહોંચાડવાની તથા અકસ્માતથી મૃત્યુ પામે તો તે અંગે કાયદેસર તપાસ કાર્યવાહી કરવાની.

  7. (૭) ટ્રેન અકસ્માત, ડિરેલમેન્‍ટ, પૂર, આકસ્મિક આગના બનાવો બને ત્યારે તે સમયે પેસેન્જરોની તથા સરસામાનની હિફાજત અને સંરક્ષણ આપવાની તથા તાત્‍કાલિક સારવાર કરાવવાની.

પ્રશ્ન

રેલવે પોલીસની હદ ક્યાં સુધી હોય છે ?

જવાબ

રેલવે પોલીસની હદ રેલવે સ્ટેશનના બંને સાઇડના આઉટર સિગ્‍નલ સુધી હોય છે અને રેલવે ટ્રેનમાં કોઈ પણ જગ્યાએ બનતા બનાવો રેલવે પોલીસની હદમાં છે પરંતુ આઉટર સિગ્‍નલ બહાર રેલવે ટ્રેક તથા ટ્રેકની આજુબાજુની રેલવેની હદમાં બનતા ગુનાઓ તથા અકસ્માત મોત તથા ઈજાના તથા અન્ય બનાવોની હદ જે તે શહેર / જિલ્લા પોલીસની ગણાય છે.

પ્રશ્ન

જી.આર.પી. અને આર.પી.એફ. વચ્ચે શો તફાવત છે ?

જવાબ

જી.આર.પી.એ રેલવે હદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરે છે. જ્યારે આર.પી.એફ. કેન્દ્ર સરકારના રેલવેના કર્મચારી ગણાય છે. જેઓની મુખ્ય કામગીરી રેલવેની મિલકતની જાળવણી કરવાની હોય છે.

પ્રશ્ન

આર.પી.એફ. શી કામગીરી કરે છે. ?

જવાબ

આર.પી.એફ.ની મુખ્ય કામગીરી રેલવેની મિલકત સાચવવાની છે અને રેલવેની મિલકતની ચોરી થતી અટકાવવાની અને રેલવે મટીરિયલની ચોરી કરી લઈ જનાર ઇસમ મુદ્દામાલ સાથે પકડાય તો રેલવે પ્રોપર્ટી અનલોફુલ પઝેશન એક્ટ મુજબ કાર્યવાહી કરવાની હોય છે. રેલવે એક્ટ મુજબ ગેરકાયદેસર ફેરિયા, સીટ કોર્નરિંગ, ટિકિટોનાં કાળાં બજાર, ચાલુ ટ્રેનમાં ચડવુ ઊતરવુ, રેલવે લાઇન ઓળંગવી, સ્ત્રીઓના ડબ્બામાં પુરુષોએ મુસાફરી કરવી, ટ્રેનના છાપરા ઉપર / બે ડબ્બા વચ્ચે મુસાફરી કરવી, પ્લેટફોર્મ ટિકિટ, પાસ વગર રેલવે હદમાં ટ્રેનમાં પ્રવેશ કરવો, ટ્રેનનું ચેઇન પુલિંગ કરવું વગેરે અટકાવવાની કામગીરી આર.પી.એફ.ની છે.

પ્રશ્ન

ટ્રેનમાં કયા પ્રકારના ગુનાઓ બને છે ?

જવાબ

ટ્રેનમાં ખાસ કરીને બેગ ચોરી, ખિસ્સામાંથી પૈસા, પાકીટની ચોરી (પિક પોકેટિંગ) તથા ખિસ્‍સું કાપી પૈસા પાકીટની ચોરી (કટ પોકેટિંગ) ચેઇન સ્‍નેચિંગ, કેફી પદાર્થ ખવડાવી-પિવડાવી બેભાન કરી સરસામાનની ચોરી કરવી પેસેન્જર સાથે વિશ્વાસઘાત કરી ચોરી કરવાના તથા અન્ય શરીર સંબંધી મારામારી, સ્ત્રીઓની છેડતી વગેરેના બનાવો બની શકે છે.

પ્રશ્ન

ટ્રેનોમાં ચોરીનો બનાવ બને તો ફરિયાદ અંગે શું કરવું ?

જવાબ

હાલમાં રેલવે પોલીસ દ્વારા ટ્રેનોમાં ચલિત ચોકી પેટ્રોલિંગ ચાલે છે જેમાં કોઈ પણ ફરિયાદી પોતાની ફરિયાદ રેલવે પોલીસને ટ્રેનમાં જ નોંધાવી શકે છે ઘણી ટ્રેનોમાં આર.પી.એફ.ના માણસો પણ પેટ્રોલિંગ કરે છે. તેમને તથા ટ્રેનના કોચ કંડક્ટર, ટી.ટી.ઇ. અને ટ્રેનના ગાર્ડને પણ ફરિયાદ લેવાના નિયુક્ત ફોર્મ રેલવે તરફથી આપેલા હોય છે તેમાં પણ ફરિયાદ લખાવી શકાય છે અને આ ફરિયાદ તેઓ દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધી રેલવે પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે.

પ્રશ્ન

ટ્રેનમાં પોલીસ, આર.પી.એફ., ટી.ટી.ઇ., કોચ કંડક્ટર ન મળે તો ફરિયાદ કઈ રીતે કોને કરવી ?

જવાબ

ઉપર મુજબના કોઈ કર્મચારી ન મળે તો ટ્રેનના ગાર્ડને જાણ કરવાથી ટ્રેનના ગાર્ડ દ્વારા સ્ટેશન માસ્તર મારફતે આગળના સ્ટેશને પોલીસને ફરિયાદ લેવા માટે જાણ કરી હાજર રાખી શકાય છે અને પોલીસ ફરિયાદ નોંધી શકે છે.

પ્રશ્ન

ટ્રેનમાં ચેઇન સ્‍નેચિંગના બનાવો બનતા અટકાવવા પેસેન્જર શી મદદ કરી શકે ?

જવાબ

પેસેન્જરોએ સોનાના કીમતી દાગીના જેવા કે ગળાનો હાર, માળા, ચેઇન, કાનની બુટ્ટી વગેરે દાગીના પહેરી દરવાજાની બારી પાસે અથવા ટ્રેનની બારી ખુલ્લી રાખી મુસાફરી ન કરવી જોઈએ અને બારી પાસે બેસે ત્યારે દાગીના ખુલ્લા ન રાખતાં પહેરેલ કપડાંથી ઢાંકીને રાખવા તથા ટ્રેન શરૂ થાય અને ઊભી રહે તે સમયગાળા દરમિયાન બારી બંધ રાખી મુસાફરી કરવાથી ગુનેગારને ચેઇન સ્‍નેચિંગ કરવાનો મોકો મળતો નથી. પરિણામે આવા ગુના અટકી શકે છે.

પ્રશ્ન

ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ગુમ થાય તો શું કરવું જોઈએ ?

જવાબ

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા પ્લેટફોર્મ ઉપર સામાન ગુમ થાય તો સ્ટેશન માસ્તર, રેલવે પોલીસ અથવા આર.પી.એફ.ને તાત્‍કાલિક જાણ કરવી અને તેઓની સૂચના મુજબ સાથે રહી શક્ય હોય તો તપાસમાં મદદ કરવી. આ અંગે રેલવે પોલીસ સામાન ગુમ થયા અંગેની અરજી લઈ તે અંગે તપાસની કાર્યવાહી કરે છે.

પ્રશ્ન

ટ્રેનમાં દારૂ, માદક દ્રવ્યો, ગેરકાયદેસર અગ્‍નિ શસ્ત્રો (હથિયાર દારૂગોળો) એક્સ્‍પ્‍લોઝિવ પદાર્થ લઈ  જતા જણાય તો આ અંગે કોને જાણ કરવી.

જવાબ

ઉપર મુજબના પદાર્થ લઈ જતા જણાઈ આવે તો આ અંગે પ્રથમ તાત્‍કાલિક જી.આર.પી.ને જાણ કરવી. જી.આર.પી. ન હોય તો આર.પી.એફ.અથવા અન્ય રેલવે કર્મચારી દ્વારા રેલવે પોલીસને તાત્‍કાલિક જાણ કરાવવી. આ અંગેની કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવે છે.

પ્રશ્ન

રેલવે ટ્રેનમાં જુગાર રમતા ઇસમો મળી આવે તો કોને જાણ કરવી ?

જવાબ

રેલવે ટ્રેનમાં જુગાર રમવો એ ગુનો છે. આ માટે કાર્યવાહી રેલવે પોલીસ કરે છે. જેથી આ અંગેની ત્વરિત જાણ રેલવે પોલીસને જાતેથી અથવા પોલીસ ન હોય તો રેલવે કર્મચારી દ્વારા પણ રેલવે પોલીસને જાણ કરવા જણાવી શકાય છે.

પ્રશ્ન

ટ્રેનમાં કોઈ વ્યક્તિ આકસ્મિક બીમાર થઈ જાય તો સારવાર માટે કઈ રીતે કાર્યવાહી થઈ શકે ?

જવાબ

ટ્રેનમાં કોઈ વ્યક્તિ આકસ્મિક બીમાર થઈ જાય તો તે ટ્રેનના ટી.ટી.ઈ., કોચ કન્‍ડક્ટરને અથવા ટ્રેનના ગાર્ડને જાણ કરવાથી નજીકના સ્ટેશને રેલવે ડોક્ટરને ટ્રેન ઉપર હાજર રાખવાની વ્યવસ્થા કરી શકાય છે. સામાન્ય પ્રકારની ઈજા અંગે ટ્રેનના ગાર્ડ અને સ્ટેશન માસ્તર પાસે ફર્સ્ટએડ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.

પ્રશ્ન

ટ્રેનમાંથી કોઈ ઇસમ અકસ્માતે પડી જાય અથવા આકસ્મિક કોઈ ઈજા થાય તો સારવાર માટે શું કરવું ?

જવાબ

ટ્રેનમાં આકસ્મિક ઈજા થાય તો ઉપર મુજબના કર્મચારીઓ અથવા રેલવે પોલીસ આર.પી.એફ.ને સત્વરે જાણ કરવાથી નજીકના સ્ટેશને સારવાર માટે લઈ જઈ શકાય છે.

પ્રશ્ન

કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી જવાથી અથવા ટ્રેનના એન્‍જિન આગળ અડફેટમાં આવી જવાથી અકસ્માતે મરણ પામે તો તે અંગે કોણ કાર્યવાહી કરશે ?

જવાબ

આ અંગે સ્ટેશન માસ્તર અથવા ટ્રેનના ડ્રાઇવર ગાર્ડ અથવા અન્ય રેલવે કર્મચારીને જાણ કરવાથી તેઓ રેલવે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે

પ્રશ્ન

ટ્રેનમાં ચેઇન પુલિંગ ક્યારે કરી શકાય ?

જવાબ

ટ્રેનમાં કોઈ ગંભીર બનાવ બન્‍યો હોય, એક્સ્‍પ્‍લોઝિવ પદાર્થ મળ્યો હોય, ચોરી, લુંટફાટનો બનાવ બન્‍યો હોય અથવા કોઈ પેસેન્જર પ્લેટફોર્મ ઉપર અથવા ટ્રેનમાં રહી ગયો હોય અથવા તેનો કીમતી સામાન રહી ગયો હોય તો ટ્રેનની ચેઇન પુલિંગ કરી શકાય છે. પરંતુ અગત્યના કારણ સિવાય ચેઇન પુલિંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ઇન્ડિયન રેલવે એક્ટ મુજબ રૂ. ૧૦૦૦/- દંડ અથવા છ માસની સજાની કાર્યવાહી થઈ શકે છે.

પ્રશ્ન

પ્લેટફોર્મ કે ટ્રેનમાં ગેરકાયદેસર ફેરિયાઓ ફેરી કરતા હોય છે તે અંગે કોને ફરિયાદ કરવી ?

જવાબ

આ અંગે આર.પી.એફ.ને આ સત્તા આપેલી હોય તેઓને ફરિયાદ કરવી અથવા રેલવે કર્મચારીને આ અંગે જાણ કરવી.

પ્રશ્ન

રેલવે ટ્રેનમાં ગેરકાયદેસર ઇસમો અથવા અપડાઉનવાળા જગ્યાનુ રોકાણ કરી અન્ય મુસાફરોને જગ્યા ન આપે તો આ અંગે કોને જાણ કરવી ?

જવાબ

ગેરકાયદેસર જગ્યા રોકવા અંગે ઇન્ડિયન રેલવે એક્ટ મુજબ આર.પી.એફ. કાર્યવાહી કરે છે. અથવા અન્ય રેલવે કર્મચારીને પણ જાણ કરી શકાય છે.

પ્રશ્ન

રેલવે રિઝર્વેશન ટિકિટોનાં કાળાં બજાર અંગે કોને જાણ કરવી અને આ અંગે કોણ કાર્યવાહી કરી શકે છે ?

જવાબ

રેલવે રિઝર્વેશન ટિકિટોનાં કાળાં બજાર અંગે ઇન્ડિયન રેલવે એક્ટ મુજબ આર.પી.એફ. કાર્યવાહી કરી શકે છે. છતાં આર.પી.એફ. ન હોય તો રેલવે પોલીસને પણ જાણ કરવાથી તેને પકડી આર.પી.એફ.ને સુપરત કરી શકે છે.

પ્રશ્ન

રેલવે પ્લેટફોર્મ ટિકિટના શા ફાયદા છે ?

જવાબ

રેલવે પ્લેટફોર્મ ટિકિટ લેવાથી ટ્રેન ઉપર કોઈને મૂકવા ગયા હોય અને આકસ્મિક ટ્રેનમાં જવાની જરૂર પડે તો તે ટિકિટ ઉપર તફાવત બનાવી મુસાફરી કરી શકાય છે.

પ્રશ્ન

રેલવે ટ્રેનમાં અથવા પ્લેટફોર્મ ઉપર બિનવારસી બેગ, થેલી, પાર્સલ કે અન્ય કોઈ ચીજવસ્તુ મળે તો શું કરવું જોઈએ. ?

જવાબ

રેલવે ટ્રેનમાં કે પ્લેટફોર્મ ઉપર કોઈ અજાણી ચીજવસ્તુ મળી આવે તો પોલીસને આર.પી.એફ. કે સ્ટેશન માસ્તર અથવા અન્ય રેલવેના કોઈ પણ કર્મચારીને જાણ કરવી જોઈએ જેથી તે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ શકે.

પ્રશ્ન

પેસેન્જરોએ પોતાની સુરક્ષા માટે શું કરવું જોઈએ ?

જવાબ

પેસેન્જરોએ પોતાની સુરક્ષા માટે નીચે મુજબના સૂચનો ધ્યાનમાં લઈ અમલ કરવો જોઈએ.

  1. પ્લેટફોર્મ ઉપર અથવા મુસાફરી દરમિયાન પોતાનો સામાન પોતે સાચવવો અને અન્ય કોઈ વ્યક્તિને વિશ્વાસ ઉપર સોંપવો નહીં.

  2. મુસાફરી દરમિયાન સામાન ચેઇન અથવા સાંકળથી બાંધી સુરક્ષિત રાખવો.

  3. મુસાફરી દરમિયાન અથવા પ્લેટફોર્મ ઉપર અજાણ્યા ઇસમો પાસેથી ખાવાપીવાની કોઈ પણ ચીજવસ્તુઓ લઈ ન ખાવી. આવી ચીજવસ્તુઓ ખાવાપીવા માટે સામેની વ્યક્તિ તરફથી આગ્રહ કરવામાં આવે તો ત્વરિત રેલવે પોલીસને જાણ કરવી.

  4. ટ્રેનમાં ચડતાં અને ઊતરતાં અને ટિકિટબારી ઉપર ટિકિટ લેતી વખતે ગિરદી હોય ત્યારે પૈસા, પાકીટ, સામાન અને પહેરેલા દરદાગીના સંભાળીને રાખવા જોઈએ.

  5. ટ્રેનમાં મુસાફરી દરમિયાન બારી તરફ માથું રાખી ન સૂવું તથા બારીમાંથી બહાર નિકળી શકે તેવો સામાન, પાકીટ બારી પાસે ન રાખવાં અને રાખી સૂઈ જવું હોય તો બારી બંધ રાખવી જોઈએ.

  6. રેલવે ટ્રેનમાં, પ્લેટફોર્મ ઉપર કોઈ બિનવારસી ચીજવસ્તુ જેવી કે બેગ, થેલી, ટિફિન, પાર્સલ વગેરે મળી આવે તો તેને એકદમ ન ઉઠાવતાં તાત્‍કાલિક રેલવે પોલીસ, આર.પી.એફ. તથા રેલવેના કોઈ પણ કર્મચારીને જાણ કરવી.

પ્રશ્ન

ફ્લેગ સ્ટેશન શું છે ?

જવાબ

ફ્લેગ સ્ટેશન એટલે કે જ્યાં સ્ટેશન માસ્તર અને ઓપરેટિંગ સ્ટાફ કે જ્યાંથી સિગ્નલો આપવાની કાર્યવાહી સ્ટેશન માસ્તર મારફતે થતી ન હોય પરંતુ બુકિંગ ક્લાર્ક મારફતે ટિકિટ આપવાની કાર્યવાહી થતી હોય તેવા સ્ટેશનને ફ્લેગ સ્ટેશન કહેવામાં આવે છે.

પ્રશ્ન

ફ્લેગ સ્ટેશન ઉપર બનતાં બનાવોની તપાસ કોણે કરવાની હોય છે ?

જવાબ

ફ્લેગ સ્ટેશન ઉપર બનતા ચોરી, લૂંટફાટ ને અન્ય ધાડ, લૂંટ, ખુન, મારામારી, અકસ્માત મોત અથવા ઈજાના સમગ્ર બનાવોની તપાસ જે તે શહેર અથવા જિલ્લા પોલીસે કરવાની હોય છે. ફ્લેગ સ્ટેશન ઉપર ટ્રેન ઊભી હોય અને ટ્રેનમાં જે બનાવ બને તેની તપાસ રેલવે પોલીસે કરવાની હોય છે.

પ્રશ્ન

રેલવે ગેટ બહાર રોડ ઉપર ટ્રેનના પાટા અને ટ્રેનનુ ચિત્ર દોરેલા બોર્ડ શા માટે મૂકવામાં આવે છે ?

જવાબ

આ બોર્ડ દ્વારા જ્યાં ગેટમેન હોતો નથી તેવા રેલવે ગેટો ઓળંગતી વખતે રાહદારી અને વાહનચાલકોએ બોર્ડ પાસે ઊભા રહી ટ્રેન આવે છે કે કેમ તેની ખાતરી કરી પછી પોતે અથવા પોતાનાં વાહનો ગેટ ઉપરથી પસાર કરવાં જોઈએ જેનાથી મોટા અકસ્માત થતાં અટકી શકે છે.

પ્રશ્ન

ટ્રેનમાં પોતાનો સામાન અથવા પેસેન્જર ઉતારવાના રહી જાય ત્યારે શું કરવું ?

જવાબ

આવા સમયે ચાલુ ટ્રેને ન ઊતરતાં ટ્રેનમાં હોય તેને ટ્રેનના કન્‍ડક્ટર પોલીસ, આર.પી.એફ. હોય તો તરત જાણ કરવી તથા ચેઇન પુલિંગ કરવી.

પ્રશ્ન આતંકવાદ સામે શી સાવચેતી રાખવામાં આવે છે અને પ્રજા તરફથી શી અપેક્ષાઓ છે ?
જવાબ

હાલમાં આતંકવાદીઓ તથા અસામાજિક તત્ત્વો દ્વારા દેશમાં ઠેરઠેર ભાંગફોડ પ્રવૃત્તિ શરૂ કરી છિન્નભિન્ન કરવાના પ્રયાસો થઈ રહેલા છે. જેના પ્રત્યાઘાતો રેલવે હદમાં પણ પડે છે. જેથી રેલવે વિસ્તારમાં પેસેન્જરો તથા માલસામાનની સલામતી જાળવવા રેલવે પુલો, ટ્રેનો, યાર્ડ, માલગોદામ, મોટાં રેલવે સ્ટેશનો, વાઇટલ ઇન્‍સ્‍ટોલેશનો ઉપર મજબૂત સંરક્ષણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેવા કે, સંપૂર્ણ રેલવે ક્ષેત્ર જેમાં રેલવે લાઇન, મુખ્ય સ્ટેશનો, રેલવે પુલોના રક્ષણ માટે આર.પી.એફ., જી.આર.પી. અને લોકલ લેવલે શહેર / જિલ્લા પોલીસની મદદથી રેલવે સ્ટેશનો, યાર્ડ, વિશ્રામગૃહ, રેલવે ટ્રેક જેવાં સ્થાનો માટે અધિકારીઓ સાથે સંપર્ક રાખી તેમની મદદ મેળવી પેટ્રોલિંગ ડ્યુટી આપી જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જે જે રેલવે સ્ટેશનોએથી પેસેન્જર ટ્રેનો શરૂ થતી હોય તે સ્ટેશનો ઉપર ટ્રેન પ્લેટફોર્મ ઉપર મૂકતાં પહેલાં ટ્રેનના તમામ ડબ્બાઓ પણ પોલીસ ઇન્‍સ્‍પેક્ટર / પોલીસ સબ ઇન્‍સ્‍પેક્ટર ઓ દ્વારા ચેક કરવામાં આવે છે. જ્યાં જ્યાં સ્નિફર ડોગ છે ત્યાં સ્નિફર ડોગથી ચેકિંગ કરવામાં આવે છે.

રેલવે વિસ્તાર તથા ટ્રેનોમાં શંકાસ્પદ વ્યક્તિઓ તેમ જ શંકાસ્પદ તેમ જ બિનવારસી ચીજવસ્તુઓ ઉઠાવવી નહીં અને આવી કોઈ ચીજવસ્તુઓ ધ્યાનમાં આવે અથવા કોઈ વ્‍યક્તિ ઉપર શંકા હોય કે તેની પાસે સ્ફોટક પદાર્થ, હથિયાર, કે કોઈ બિનકાયદેસરની વસ્તુ કે, સરસામાન છે. તો ત્વરિત પોલીસના માણસો તથા કોઈ પણ રેલવે કર્મચારીઓને જાણ કરવી.

પ્રશ્ન

ટ્રેનમાં મુસાફરી સમયે કીમતી સામાન કે ચીજવસ્‍તુઓ હોય તો કંઈ રીતે સુરક્ષિત રાખવા ?

જવાબ

  1. ટ્રેનમાં પેસેન્જરોએ પોતાનો કીમતી માલ સામાન પોતાની પાસે રાખવો જોઈએ.
  2. સામાન પોતાની નજર સામે દેખાય તે રીતે રાખવો જોઈએ.
  3. રેલવેની ચેઈન સાથે સામાન લોક રાખવો જોઈએ.
  4. અવારનવાર પોતાનો સામાન ચેક કરવો જોઈએ.
  5. પોતાનો સામાન છૂટો ન મૂકવો જોઈએ.
  6. ટ્રેનમાં લગેજ રૂમ હોય તો એટેન્‍ડન્ટ સાચવનાર હોય તો ત્યાં મૂકવો જોઈએ.
  7. કીમતી માલસામાનનો વીમો ઉતારી શકાય છે.
  ટ્રેનમાં મુસાફરી સમયે કોઈ મુશ્કેલી ઊભી થાય કે ફરિયાદ કરવી હોય અને જો પોલીસ કે રેલવે કર્મચારી વાત ન સાંભળે તો શું કરવું જોઈએ ?
 
  1. પેસેન્જરે પોતાની મુસાફરી પૂરી થાય ત્યાં ફરિયાદ કરવી જોઈએ.

  2. મોટા રેલવે સ્ટેશને જ્યાં ટ્રેન ઊભી રહે છે ત્યાં હાજર ઉચ્ચ અધિકારીશ્રીને રજૂઆત કરવી જોઈએ.

  3. સ્ટેશન માસ્તરની ઓફિસમાં રહેતી ફરિયાદ બુકમાં ફરિયાદ લખવી જોઈએ.

પ્રશ્ન

રેલવે ટિકિટ ખોવાઈ જાય અથવા ગુમ થઈ જાય તો શું કરવું જોઈએ ?

જવાબ

  1. ટિકિટ ખોવાઈ જાય તો ટ્રેનના કન્‍ડક્ટર કે ગાર્ડ પાસે જઈ રજૂઆત કરવી જોઈએ.

  2. સ્ટેશને ટ્રેન ઊભી રહે તો સ્ટેશન માસ્તર પાસે રજૂઆત કરવી જોઈએ.

  3. પેસેન્જરે ટિકિટની ઝેરોક્સ નકલ રાખવી જોઈએ.

  4. મુસાફરી પહેલાં ટિકિટ ખોવાઈ જાય તો જે તે સ્ટેશન માસ્તરને જાણ કરવી જેથી બીજી ડુપ્લિકેટ ટિકિટની વ્યવસ્થા થઈ શકે.

પ્રશ્ન

રેલવે મુસાફરીમાં મુસાફરો પાસે કયા કયા હક્ક છે ?

જવાબ

  1. ટ્રેનમાં જગ્યા મેળવવાનો હક્ક છે.

  2. આરામદાયક મુસાફરીનો હક્ક છે.

  3. ટ્રેનમાં સામાન સલામત રહે તે માટેનો હક્ક છે.

  4. ટ્રેનમાં પ્રાથમિક સારવાર લેવાનો હક્ક છે.

પ્રશ્ન

ચલિત ચોકીની વિસ્તૃત માહિતી આપવી ?

જવાબ

ચલિત ચોકી એટલે ચાલુ ટ્રેનોમાં પોલીસ દ્વારા કરવામાં આવતું ટ્રેન-પેટ્રોલિંગ જેમાં કોઈ પણ ફરિયાદી પોતાની ફરિયાદ રેલવે પોલીસને ચાલુ ટ્રેનમાં જ ફરિયાદ નોંધાવી શકે છે.

ચલિત ચોકી ચાર વિભાગમાં વહેંચાયેલી છે.

(એ) રાત્રીની મહત્ત્વની મેલ / એક્સપ્રેસ ટ્રેનોમાં ટ્રેન પેટ્રોલિંગ
(બી) વીકલી ગાડીઓનું ટ્રેન પેટ્રોલિંગ
(સી) દિવસ / રાત્રીની મેલ / એક્સપ્રેસ / લોકલ ટ્રેનોમાં પેટ્રોલિંગ
(ડી) દિવસની ટ્રેનોમાં પેટ્રોલિંગ

એ-વિભાગમાં :- કુલ ૧૯ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઇ. / હેડ કોન્‍સ્‍ટેબલ તથા ત્રણ પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલિંગ ગોઠવેલું છે. કુલ ૭૬ પોલીસ માણસોની પેટ્રોલિંગ રાત્રીની મહત્વની ટ્રેનોમાં ગોઠવવામાં આવે છે.

બી-વિભાગમાં :- કુલ ૩૭ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઇ. / હેડ કોન્‍સ્‍ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલિંગ ગોઠવવામાં આવે છે. કુલ ૧૧૧ પોલીસ માણસોની પેટ્રોલિંગ વીકલી ટ્રેનોમાં ગોઠવવામાં આવે છે.

સી-વિભાગમાં :- કુલ ૨૬ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઇ. / હેડ કોન્‍સ્‍ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલિંગ ગોઠવાય છે. કુલ ૭૮ પોલીસ માણસોની પેટ્રોલિંગ ટ્રેનોમાં ગોઠવવામાં આવે છે.

ડી-વિભાગમાં :- કુલ ૯ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઇ. / હેડ કોન્‍સ્‍ટેબલ તથા એક પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલિંગ ગોઠવાય છે. કુલ ૧૮ પોલીસ માણસોની પેટ્રોલિંગ ટ્રેનોમાં ગોઠવવામાં આવે છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાંથી જ્યુડિશિયલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવે છે.

  1. ચલિત ચોકીમાં તમામ માણસોને હથિયાર સાથે ટ્રેન પેટ્રોલિંગમાં ગોઠવવામાં આવે છે.

  2. ચલિત ચોકીનું બોર્ડ પેસેન્જર જોઈ શકે તે રીતે ટ્રેનના બહારના ભાગે લગાડવામાં આવે છે.

  3. દરેક પોલીસ માણસને ગાડીના ડબ્બાઓ પ્રમાણે ડબ્બાઓ વહેચીને ફરજ આપવામાં આવે છે.

  4. લેડીઝ કોચમાં વુમન પોલીસ કોન્સ્ટેબલને હાજર રાખવામાં આવે છે.

  5. ટ્રેનમાં ગુના ન બને તેની તકેદારી રાખવામાં આવે છે.

  6. ટ્રેનના આગળ તથા પાછળ જનરલ ડબ્બા ઉપર અચૂક હાજરી આપવામાં આવે છે.

  7. ટ્રેન પેટ્રોલિંગમાં પોલીસ માણસોને રાઇફલ, લાઠી, ચલિત ચોકીનું સાહિત્ય, અકરન્સ બુક, વિઝિટર્સ બુક, રસ્સી, હાથકડી સાથે આપવામાં આવે છે.

  8. ટ્રેન બે રેલવે સ્ટેશનો વચ્ચે ઊભી રહે તો ટ્રેનની બંને બાજુ વોચ રાખવામાં આવે છે.

  9. ચાલુ ટ્રેનમાં ચોરી થાય તો ચાલુ ટ્રેનમાં ફરિયાદ લઈ નજીકના રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થવા માટે મોકલી આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 05-04-2006